
ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વલભીપુરમાં એકાદ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ભાવનગરમાં ત્રણ-ચાર દિવસથી સવારથીજ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને બપોર બાદ જ વરસાદની એન્ટ્રી થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે. આસોમાસમાં પણ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વલ્લભીપુર શહેર અને ઉમરાળામાં ધોધમાર વરસાદ
વલ્લભીપુર અને ઉમરાળા પંથકના ગામોમાં બપોર બાદ કાળા ડિબાગ વાદળાઓ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખૂબ ચિંતા વ્યાપી ગઈ છે. કપાસ માટેની લાણીનો સમય હોય ત્યારે જ કમોસમી વરસાદ થતા પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તલ, બાજરી, ચણા, જીરુ, કપાસ, મગફળી જેવા અનેક પાકોને ખૂબ નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે